Job 36

1અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે,

2“મને થોડો વધારે સમય બોલવા દો, અને હું તને બતાવીશ
કારણ કે હું ઈશ્વરના પક્ષમાં થોડા વધુ શબ્દો કહેવા માગું છું.
3હું દુરથી ડહાપણ લાવીને;
મારા સર્જનહાર ઈશ્વર ન્યાયી છે તે હું સાબિત કરીશ.

4હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે

કેમ કે જે સંપૂર્ણ જ્ઞાની છે તે તારી સાથે છે.
5જુઓ, ઈશ્વર સર્વશક્તિમાન છે, અને તે કોઈનો પણ તિરસ્કાર કરતા નથી;
તે મહા બુદ્ધિમાન અને વિદ્વાન છે.

6તેઓ દુષ્ટોને સાચવતા નથી,

પણ ગરીબોના હિતમાં સારું કરે છે.
7ન્યાયી માણસ પરથી તેઓની દ્રષ્ટિ દૂર કરતા નથી,
પણ તેથી વિપરીત, તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે,
અને તેઓ સદા ઉચ્ચસ્થાન પર રહે છે.

8જો, જેથી કરીને તેઓને સાંકળોએ બાંધવામાં આવ્યા છે,

અને તેઓ વિપત્તિમાં સપડાયા છે,
9તેઓએ શું કર્યું છે તે તેઓને જણાવશે,
કે તેઓએ કરેલા અપરાધો અને કેવી રીતે અહંકારથી વર્ત્યા છે.

10તે તેઓના અપરાધોથી પાછા ફરવાનો આદેશ આપશે,

અને શિક્ષણ તરફ તેઓના કાન ઉઘાડશે.
11જો તેઓ તેમનું સાંભળીને તેમની સેવા કરશે તો,
તેઓ આયુષ્યના દિવસો સમૃદ્ધિમાં પસાર કરશે,
તેઓના જીવનનાં વર્ષો સંતોષથી ભરેલાં થશે.
12પરંતુ જો, તેઓ તેમનું સાંભળશે નહિ તો,
તેઓ અજ્ઞાનતામાં જ મરણ પામશે અને તેઓનો નાશ થશે.

13જેઓ નાસ્તિક છે તેઓ પોતાના હૃદયમાં ગુસ્સો ભેગો કરે છે;

ઈશ્વર તેઓને શિક્ષા કરે છે તેમ છતાં તેઓ મદદને માટે પ્રાર્થના કરતા નથી.
14તેઓ તરુણાવસ્થામાં મરણ પામશે;
અને કૃપા વિના તેઓના જીવનો નાશ પામશે.

15ઈશ્વર દુઃખીઓને તેઓના દુઃખમાંથી છોડાવે છે;

અને તે તેઓને જુલમ દ્વારા સાંભળતા કરે છે.
16નિશ્ચે, તે તને વિપત્તિમાંથી બહાર લાવ્યા છે.
જ્યાં સંકટ ન હોય તેવી વિશાળ જગ્યામાં લઈ જાય છે
અને તને ખાવાને માટે પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે.

17તને એક દુષ્ટ વ્યક્તિની જેમ સજા થઈ છે;

ન્યાયાસન અને ન્યાયે તને પકડ્યો છે.
18હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિ;
અને મોટી લાંચ તને ન્યાય કરવાથી પાછો રાખે નહિ.

19શું તારી અઢળક સંપત્તિ તને સંકટથી દૂર રાખી શકે છે,

અથવા તારી બધી શક્તિ તને મદદ કરી શકે છે?
20અન્યની વિરુદ્ધ પાપ કરવાને રાત્રીની ઇચ્છા ન કર,
કે જ્યારે લોકો પોતાની જગ્યાએ નાશ પામે છે.
21સાવધ રહેજે, પાપ કરવા તરફ ન ફર,
કારણ કે તને સંકટમાંથી પસાર કરાવ્યો છે કે જેથી તું પાપ કરવાથી દૂર રહે.

22જુઓ, ઈશ્વર તેમનાં સામથ્ય દ્વારા મહિમાવાન થાય છે;

તેમના જેવો ગુરુ કોઈ છે?
23તેમણે શું કરવું એ કોઈ તેમને કહી શકે ખરું?
અથવા કોણ તેમને કહી શકે છે કે, ‘તમે અન્યાય કર્યો છે?’
24તેમનાં કાર્યોની સ્તુતિ કરવાનું યાદ રાખ,
લોકોએ ગાયનો મારફતે તેમની સ્તુતિ કરી છે.

25ઈશ્વરે જે કંઈ કર્યુ છે તે સર્વએ નિહાળ્યું છે,

પણ તેઓએ તે કાર્યો દૂરથી જ જોયાં છે.
26જુઓ, ઈશ્વર મહાન છે, આપણે તેમને સંપૂર્ણપણે સમજી શક્તા નથી;
તેમનાં વર્ષોની સંખ્યા અગણિત છે.

27તેઓ પાણીનાં ટીંપાં ઊંચે લઈ જાય છે

અને તેનું ઝાકળ અને વરાળ વરસાદમાં રૂપાંતર કરે છે,
28તે વાદળોમાંથી પૃથ્વી પર વર્ષે છે,
અને મનુષ્યો પર પુષ્કળતામાં વરસાવે છે.
29ખરેખર, વાદળોનો વિસ્તાર કેટલો છે
અને તેનાં ગગનમંડપમાં ગર્જનાઓ કેવી રીતે થાય છે તેને કોણ સમજી શકે?

30જુઓ, તેઓ પૃથ્વી પર વીજળી ફેલાવે છે

અને મહાસાગરને અંધકારથી ઢાંકી દે છે.
31આ રીતે ઈશ્વર લોકોને ખવડાવે છે,
અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.

32તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે,

અને તેને પાડવાની હોય ત્યાં પડવાને આજ્ઞા કરે છે.
તેઓની ગર્જના લોકોને આવનાર તોફાન વિષે ચેતવણી આપે છે:
તે જાનવર દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.
33

Copyright information for GujULB